Search
Popular Searches
Top Picks For You
No top picks available
Suggestions
અમદાવાદ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં જૈવ વૈવિધ્યના દસ્તાવેજીકરણ માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે વઢવાણ સિટી બર્ડ એટલાસ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં નીતિ નિર્માતાઓ, પક્ષી નિષ્ણાતો, સંશોધકો અને સામાન્ય નાગરિકોને એક જ મંચ પર લાવીને પક્ષી સંરક્ષણ અને વૈજ્ઞાનિક અભ્યાસને પ્રોત્સાહન આપવામાં આવશે.
ભારતના વિવિધ શહેરો અને વિસ્તારોમાં ચાલી રહેલી સામાજિક તથા પર્યાવરણીય પહેલોમાં હવે ગુજરાતનું વઢવાણ શહેર પણ મહત્વપૂર્ણ યોગદાન આપવા જઈ રહ્યું છે. 11 જૂન, 2026થી શરૂ થનારા વઢવાણ સિટી બર્ડ એટલાસ 2026ના ઉદ્ઘાટન અને પ્રોટોકોલ ઓરિએન્ટેશન કાર્યક્રમ દ્વારા ગુજરાતની સૌથી મહત્વપૂર્ણ નાગરિક વિજ્ઞાન આધારિત જૈવ વૈવિધ્ય પહેલોમાંથી એકનો પાયો મૂકવામાં આવશે. ખાસ વાત એ છે કે આ સૌરાષ્ટ્ર વિસ્તારનો પ્રથમ અને સમગ્ર ગુજરાતનો બીજો બર્ડ એટલાસ પ્રોજેક્ટ છે.
“પ્રકૃતિ માટે નાગરિક વિજ્ઞાન, સંરક્ષણ માટે જ્ઞાન” થીમ પર આધારિત આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વઢવાણ શહેરમાં જોવા મળતી વિવિધ પક્ષી પ્રજાતિઓનો વ્યાપક ડેટાબેઝ તૈયાર કરવાનો છે. સાથે જ સામાન્ય નાગરિકોને વૈજ્ઞાનિક માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા અને સંરક્ષણ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
કાર્યક્રમના પ્રથમ દિવસે વઢવાણ શહેરમાં બર્ડ એટલાસનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવશે અને ભાગ લેનારાઓને સર્વેક્ષણ માટે જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવશે. સાંજે 4:30 થી 5:00 વાગ્યા સુધી નોંધણી પ્રક્રિયા યોજાશે, જ્યારે 5:00 થી 6:00 વાગ્યા દરમિયાન ઉદ્ઘાટન સમારોહ યોજાશે. કાર્યક્રમની શરૂઆત મુખ્ય આયોજકોમાંના એક દેવવ્રતસિંહ મોરીના સ્વાગત પ્રવચનથી થશે. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે પરંપરાગત દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો ઔપચારિક પ્રારંભ કરવામાં આવશે.

ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના અગ્રણી નેતાઓ અને નીતિ નિર્માતાઓ ઉપસ્થિત રહેશે. મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોડહવાડિયા હાજર રહેશે. તેમની સાથે વઢવાણ મતવિસ્તારના ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી ચીફ વ્હીપ જગદીશભાઈ મકવાણા પણ ઉપસ્થિત રહેશે. ઉપરાંત, ગુજરાત રાજ્ય વન્યજીવ બોર્ડના પૂર્વ સભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લાના ભૂતપૂર્વ વાઇલ્ડલાઇફ વોર્ડન ભવાનીસિંહજી મોરી પણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે.
સાંજે 6:00 થી 7:30 વાગ્યા દરમિયાન ટેકનિકલ સત્રો યોજાશે, જેમાં ભાગ લેનારાઓને ફિલ્ડ સર્વે અને માહિતી સંગ્રહ માટે જરૂરી તાલીમ આપવામાં આવશે. આ સત્રોમાં પક્ષીઓની ઓળખ, ડેટા મેનેજમેન્ટ અને સર્વે પદ્ધતિઓ જેવા વિષયો પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે, જે સમગ્ર બર્ડ એટલાસ પ્રોજેક્ટનો આધારસ્તંભ બનશે.
પ્રખ્યાત પક્ષી નિષ્ણાત પ્રસાદ ગણપુલે સૌરાષ્ટ્ર વિસ્તારના પક્ષીઓની ઓળખ અંગે વિશેષ સત્ર લેશે. જ્યારે દિવિન વેણુ વિશ્વપ્રસિદ્ધ પક્ષી મોનિટરિંગ પ્લેટફોર્મ eBirdના ઉપયોગ અંગે માર્ગદર્શન આપશે. આ સત્રમાં ડિજિટલ સાધનો દ્વારા માહિતીની ચોકસાઈ કેવી રીતે વધારી શકાય અને નાગરિકો દ્વારા એકત્રિત કરાયેલ ડેટાને વૈજ્ઞાનિક અભ્યાસ તથા સંરક્ષણ આયોજન માટે વધુ ઉપયોગી કેવી રીતે બનાવી શકાય તેની ચર્ચા કરવામાં આવશે.
ડૉ. જીતેશ ઝાવર “ડિફાઇનિંગ ધ સ્કેલેટન” વિષય પર WCBA ફ્રેમવર્કની વિસ્તૃત સમજણ આપશે. તેઓ સર્વે પદ્ધતિઓ, ગ્રીડ ફાળવણી અને પ્રોજેક્ટના કાર્યકારી પ્રોટોકોલ અંગે વિગતવાર માહિતી રજૂ કરશે.
કાર્યક્રમના પ્રથમ દિવસનો સમાપન સાંજે 7:30 વાગ્યે ડિનર અને નેટવર્કિંગ સત્ર સાથે થશે. આ દરમિયાન ભાગ લેનારાઓ, નિષ્ણાતો અને અધિકારીઓ વચ્ચે વિચારોની આપ-લે થશે તેમજ ભવિષ્યમાં સહયોગની નવી તકોનું નિર્માણ થશે.
વઢવાણનો હવા મહેલ: ગુજરાતનું એક અદભુત પણ અધૂરું રહી ગયેલું ઐતિહાસિક સ્થાપત્ય